સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને સોનગઢ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ. ડી. ક્રાઇમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ઉપક્રમે સોનગઢ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે લોકોમાં અવરનેસ આવે અને લોકજાગૃતિના ઉદ્દેશ્ય હેતુ સેમિનાર યોજાયો હતો. સિહોર તાલુકાના સોનગઢ રત્નાશ્રમમાં પોલીસ વિભાગ તરફથી સાઈબર અવરનેસ પ્રોગ્રામ આજરોજ યોજાયો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા ખુબ સરસ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વિવિધ પ્રકારના ફ્રોડ અને આકર્ષક-લોભામણી જાહેરાતો દ્વારા માહિતીની ચોરી વિષે વાત કરી તેનાથી સાવચેત રહેવાની જાણકારી આ સેમિનારમાં આપવામાં આવી હતી. જ્યારે આપણે કોઈપણ કારણથી સાઈબર ગુન્હાના ભોગ બનીએ તો ૧૯૩૦ નંબર પર પોલીસ મદદ મેળવી અને ફરિયાદ નોંધાવી શકીએ છીએ. જેમાં સોનગઢ પોલીસ સ્ટેશનના જગદીશસિંહ વાઘેલા, જયપાલસિંહ ગોહિલ, દક્ષાબેન તથા સ્ટેટ સાયબર ક્રાઇમમાંથી વોલન્ટીયરશ્રી આશિષ ડોડિયાએ ઉપસ્થિત રહી સાયબર ક્રાઈમ વિશેની જાણકારી આપી હતી.