અમરેલી, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં જાહેર વિતરણ વ્યવસ્થાનાં ચોખાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી જિલ્લા પુરવઠા કચેરીને મળી હતી. આ બાતમીને આધારે અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ 

ઘટતું કરવા સૂચના આપી હતી. જિલ્લા પુરવઠા કચેરી તથા મામલતદાર કચેરી, સાવરકુંડલા ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાંથી મયુરભાઇ ખોડીદાસભાઇ ચોલેરા દ્વારા હરરાજી ગોડાઉન પાસે જાહેર વિતરણનાં ચોખા ૧૭,૬૦૦ કિ.ગ્રા. તથા આ જથ્થો ભરેલો ટ્રક નં. GJ - 01 - HT - 8113 મળી આવ્યો હતો. આ જથ્થો ગેરકાયદે હોવાથી ઘઉં ૧૭,૬૦૦ કિ.ગ્રા. રકમ રૂ.૨,૯૯,૨૦૦/- , ટ્રક કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- તથા વજનકાંટો કિંમત રૂ.૧૫૦૦/- મળી કુલ ૨.૬,૦૦,૭૦૦/-નો માલ સામાન સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મયુરભાઇ ચોલેરાના નિવેદન અનુસાર તેઓએ આ જથ્થો આઠ જેટલા ફેરીયાઓ પાસેથી ખરીદીકરી હોવાનું જણાવ્યુ હતુ. આથી તેઓની તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લાના તમામ મામલતદારશ્રીઓને આવા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રેશનકાર્ડ ધારકોને પણ આ રાહતભાવનો જથ્થો પોતાના માટે જ ઉપયોગ કરવા તથા આવા અનઅધિકૃત્ત રીતે થતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને રોકવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે નાગરિકોને સહકાર આપવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા) અમરેલી