હાલમાં શ્રીજી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન ગણેશજીના આ ઉસત્વ સાથે જોડાયેલી વાતો કે જે પૌરાણિક કથામાં છે તે જાણવી પણ જરૂરી છે, પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત તો કરી લીધું પરંતુ તેઓ મહાભારત ગ્રંથ લખવામાં અસમર્થ હતાં, તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી, જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે આ મુંઝવણ ઉભી થતા તેઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી પોતાની મુંઝવણ જણાવી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે,જેઓ ચોક્કસ તમારી મદદ કરશે. ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી એટલે ગણપતિજી એ હા પાડી દીધી.

ત્યારબાદ ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: લખી નાખી.

જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેઓએ પોતાની આંખો બંધ રાખી હતી પરંતુ જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનુ તાપમાન ખૂબ વધી ગયુ હતું તેમના શરીરનુ તાપમાન ઓછુ કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો પણ માટી સુકાઇ ગયા પછી ગણેશજીનું આખું શરીર જકડાઈ જતા અને માટી ખરવા માંડતા વેદવ્યાસજી તેજ સ્થિતિમાં ગણેશજી ને સરોવરમાં લઈ ગયા જ્યાં સરોવરમાં ડૂબકી મરાવી માટીનો લેપ સાફ કર્યો હતો તેઓને સ્નાન કરાવતા શ્રીજી હળવા થયા હતા.

કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંતચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે.

એવું પણ કહેવાય છે કે છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીના રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે

ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીનુ મયૂરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનુ આહ્વાન કર્યુ. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યુ અને છ ભુજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયા નો જયજયકાર કરે છે.

આમ,શ્રીજી ઉત્સવ નું આ પ્રાચીન મહત્વ  છે.