અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરના સમયે સાંજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સેટેલાઈ, નેહરુનગર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, આશ્રમરોડ, રીલીફ રોડ, દૂધેશ્વર, શાહપુર, દિલ્હી દરવાજા સહીતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 3 ઈંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ, વડોદરામાં પોણો ઈઁચ, લખપતમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાઘોડિયામાં અડધો ઈંચ, કપડવંજમાં અડધો ઈંચ, મહુઆમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં 34 ઈંચ આસપાસ સરેરાસ સિઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પણ તૂટી રહ્યા છે જ્યારે નવા ભૂવાઓ પણ પડી રહ્યા છે. કોર્પેોરેશનની કામગિરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કેમ કે, અત્યાર સુધી 15 દિવસમાં લોકોએ ઓનલાઈન 25 હજાર જેટલી ફરીયાદો કરી હતી ત્યારે તેમાંથી 16 હજાર જેટલી ફરીયાદો રોડ રસ્તા મામલે હતી. જેમાંની કેટલીક ફરીયાદોનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો ત્યારે વરસાદ પડતા કોર્પોરેશનની કામગિરીની વધુ પોલ પણ ખૂલી શકે છે. લોકોના કમરના મણકા તૂટી જાય તેવા ખાડાઓ શહેરમાં પડ્યા છે. ત્યારે 15 સપ્ટેમ્બર સુધી તમામ પેચ વર્ક થાય તેવો દાવો પણ કરાયો છે પરંતુ વધુ ખાડાઓ વરસાદી માહોલમાં પડી રહ્યા છે. 

મહેરની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સિવાય ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં સૂરત, છોટા ઉદેપુર સહીતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે ભરુચ અને બારડોલીમાં પણ વરસાદ પડ્યો હતો. 

207 ડેમોમાં 84.44 ટકા જળસંગ્રહ થયો

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે 207 ડેમોમાં 84.44 ટકા જળસંગ્રહ થયો છે. હાલમાં ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ભરાયેલા આ ડેમ પૈકી સૌરાષ્ટ્રના 34,કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યારે 98 ડેમ હાઈએલર્ટ ઉપર મુકાયા છે, કારણ કે ત્યાંના ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 86.56 ટકા પાણીનો સંગ્રહ થયો છે, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 79.88 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 78.94 ટકા, કચ્છના 20 ડેમમાં 74.68 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73.84 ટકા અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 93.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે.