આગામી દિવસોમાં તહેવારને પગલે વલસાડ જિલ્લામાં હથિયારબંધી 

આગામી દિવસોમાં પવિત્ર ગણેશોત્સવ, નવરાત્રિ અને દશેરાના તહેવારની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર વિપરિત અસર ન થાય અને જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હાએ તાત્કાલિક અસરથી તા. 13 સપ્ટેમ્બર 2022 સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

જે અનુસાર શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની, સ્ફોટક પદાર્થ લઈ જવાની, કોઈપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવાપૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાની જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવુ ભાષણ કરવાની, તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવાની મનાઈ ફરમાવી છે. 

આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાની ફરજ હોય કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઈપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોઈ તેવી વ્યક્તિ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિ અને સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તથા અભિયાનને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને 1951ના મુંબઈ પોલીસ અધિનિયમ (સને-1951ના 22માં)ના કાયદાની કલમ-135 મુજબ ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે.