ધાનેરા તાલુકાના અનાપુર ગામનો અને હાલ પાલનપુરમાં રહેતાં શખ્સે તેની પત્નીને રૂ. 50,000 ત્રણ મિત્રોને વેચી દીધી હતી. જેમણે દાગીના પડાવી લઇ 7 દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. અને ડીસાની મહીલા સહીત બે શખ્સો સાથે પુનઃ સોદો નક્કી કર્યો હતો. જોકે, તે પહેલાં પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે પતિ સહીત 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં રહેતાં અને મૂળ ધાનેરાના અનાપુર ગામના નિકેશ વના પટેલને પત્ની ગમતી ન હતી. સામાજીક રાહે છૂટાછેડા શક્ય ન હતા. બીજી તરફ તે અન્ય મહીલા સાથે સબંધ ધરાવતો હતો તને ઘરે લાગવા માંગતો હતો. આથી પત્નીથી છૂટકારો મેળવવા માટે ત્રણ મિત્રો થરાદનો સ્વરૂપ અમરતભાઇ ઠાકોર, પાલનપુરનો શૈલેષકુમાર ઉર્ફે સંજય હેમરાજભાઇ ઠાકોર અને સચિન મંગળસિંહ ઠાકોરને રૂ. 50,000 માં વેચી દીધી હતી. જે ત્રણેયે તેણીના પહેરેલા દાગીના પડાવી લઇ સાત દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું.
જે પછી તેણીને અન્ય સ્થળે પરણાવવા માટે ડીસાની હીના ટીનાજી ઠાકોર અને ટીનાજી મથુરજી ઠાકોર સાથે સોદો નક્કી કર્યો હતો. આ અંગે પાલનપુર કર્યો પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ. આર. કે. પટેલે જણાવ્યું હતું કે, મહીલાને અન્ય સ્થળે લઇ જઇ પરણાવી દેવામાં આવે તે પહેલાં પાલનપુર એરોમા સર્કલ નજીકથી 6 શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમની સામે ગુનો નોંધ્યો છે.
ઝડપાયેલા આરોપીઓ
-નિકેશ વના પટેલ (રહે.પાલનપુર ઢુંઢીયાવાડી, મૂળ અનાપુર, ધાનેરા) - સ્વરૂપ અમરતભાઇ ઠાકોર
(રહે. સણાવીયા, તા. થરાદ)
- શૈલેષ હેમરાજભાઇ ઠાકોર (પાલનપુર)
સચિન મંગળ દરબાર (રહે. પાલનપુર)
- હીના ટીનાજી ઠાકોર (રહે. ડીસા) - ટીનાજી મથુરજી ઠાકોર (રહે.ડીસા)
આ અંગે પાલનપુર ડી.વાય.એસ.પી. ડો.જીજ્ઞેશ ગામીતે જણાવ્યું હતું કે, શરૂઆતમાં નિકેશ પટેલે પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે પોતે પત્નીને શોધવા માટે પોલીસને મદદ કરતો હતો. જોકે, તપાસ દરમિયાન તે પોતે પણ ગુમ થઇ જતાં પોલીસને શંકા ગઇ હતી. પોલીસે જ્યારે તેને શોધી પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું કે, નિકેશને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધ હોવાથી તે પત્નીથી છૂટકારો મેળવવા માંગતો હતો. સામાજીક રીતે છૂટાછેડા ન થતાં તેણે પોતાના મિત્રો સાથે મળીને પત્નીને જાનથી મારી નાખવાનું કાવતરૂ પડ્યું હતું અને રૂ. 50,000 નક્કી કરી પત્નીને મિત્રો સાથે મોકલી દીધી હતી.
નિકેશ પટેલ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. જેણે અગાઉ અન્ય સમાજની બે દીકરીઓને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. તેમજ પાલનપુરમાં કરિયાણાની દુકાનમાં ચોરીના ગુનામાં ઝડપાયો છે.
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટના મનોજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કોઇ પણ મહીલા કોઇની મિલ્કત નથી કે જેને રૂપિયામાં વેચી શકાય. આરોપીઓએ હીન જધન્ય કૃત્ય આચર્યું છે. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઇએ અને એકદમ ઝડપથી આરોપીઓને કડક સજા આપીને સમાજના દાખલો બેસાડવો જોઇએ.