ભાવનગર જિલ્લાના સથરા ગામે આવેલા પ્રખ્યાત અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન, બાળનાથ બાપુ સ્થાપિત મહાવીર ભુરખીયા હનુમાનજી દાદાના આશ્રમમાં આગામી ચૈત્ર સુદ પૂનમ ને ગુરુવાર, તારીખ 2 એપ્રિલ 2026ના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પવિત્ર દિવસે આશ્રમ ખાતે ત્રિવેણી સંગમ સમાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હનુમાન જયંતિની સાથે સંત બાળનાથ બાપુનો 11મો પાટોત્સવ અને નાગેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ પણ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે.

આ ધાર્મિક મહોત્સવના આયોજન અંગે વિગતો આપતા જણાવાયું છે કે, આ દિવસે વિશેષ રૂપે 'પંચકુંડી મારુતિ હોમાત્મક મહાયજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 8:00 વાગ્યે ધ્વજારોહણથી થશે, ત્યારબાદ 8:30 વાગ્યે યજ્ઞનો પ્રારંભ અને ગુરુ પાદુકા પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે આશ્રમ દ્વારા એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં સંતો અને ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહેશે.

બપોરના સમયે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દિવસ દરમિયાન ચાલનારા આ ધાર્મિક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સાંજે 5:00 વાગ્યે શ્રીફળ હોમ સાથે કરવામાં આવશે. સંત દયારામ બાપુની પ્રેરણા અને આશ્રમ સેવક સમુદાયના સહયોગથી આ જન્મોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેના લીધે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.