ડીસા માં બનાસ નદી પર સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત..

ડીસા તાલુકાના માલગઢથી ડોલીવાસ સુધી બનાસ નદી પર નવા સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવિણ માળીના હસ્તે સોમવારે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

આ બ્રિજ રૂ.36 કરોડના ખર્ચે 18 માસમાં તૈયાર થશે, જેનાથી 12થી વધુ ગામોને ડીસા શહેર સાથે સીધો અને ટૂંકો રસ્તો મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી પ્રવિણ માળીએ માલગઢના જોધપુરીયા ઢાંણીમાં આવેલા શ્રી કાળા-ગોરા ભૈરવ દાદાના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ડી.જે.ના તાલે અને ફૂલોની છોળો ઉડાડી ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

બનાસ નદીના કિનારે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ પૂજારીના વેદાંત મંત્રોચ્ચાર સાથે સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બ્રિજ માલગઢ, કુંપટ, વડાવળ, વિડી, સાંડીયા, સોતમલા, ખેટવા, વાહરા, ડેડોલ, ઢેઢાલ, લોરવાડા અને મુડેઠા જેવા 12 થી વધુ ગામોના હજારો લોકોને સીધો લાભ આપશે.

હાલમાં આ ગામોના લોકોને ડીસા પહોંચવા માટે લાંબો રસ્તો કાપવો પડે છે, જેના કારણે સમય અને પૈસાનો વ્યય થાય છે. આ નવા બ્રિજથી મુસાફરી સરળ બનશે અને ડીસા શહેર સાથે સીધી કનેક્ટિવિટી મળશે.

ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવિણ માળીએ આ પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. સરકારે આ પ્રસ્તાવને ધ્યાને લઈ ઝડપથી મંજૂરી આપી હતી, જેના પરિણામે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત શક્ય બન્યું છે.

આ પ્રસંગે માલગઢના મહિલા સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા, તલાટી કમ મંત્રી દર્શનભાઇ આર. ટાંક, ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, માલગઢના ડેલીગેટ નરેશભાઇ પી. સોલંકી, ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલભાઇ કે. બારોટ, પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડીયા સહિત અનેક અગ્રણીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..