ડીસાના રામજી મંદિર પાછળ લાખુખાડ વિસ્તારનો યુવક શુક્રવારે પોતાના સાસરે કાંકરેજના આકોલી ગામે ખાખલેચાવાસમાં ગયો હતો. જ્યાં પતિ-પત્ની વચ્ચે કોઈ વાતમાં બોલાચાલી થતાં યુવક આંબાના ઝાડ પર ઝેરી દવા લઈને ચડી પી જતાં મોત નિપજ્યું હતું.

ડીસામાં આવેલ રામજી મંદિર પાછળ લાખુખાડ વિસ્તારમાં રહેતો અને મજુરી કામ કરતો 35 વર્ષિય યુવક ભરતજી બાબુજી ઠાકોર તારીખ 16 ઓગષ્ટના રોજ પોતાની સાસરી કાંકરેજ તાલુકાના આકોલી ગામે ખાખલેચાવાસમાં ગયો હતો. જેમાં બન્ને પતિ-પત્ની વચ્ચે કોઈ વાતમાં બોલાચાલી થઈ હતી અને ભરતજી ઠાકોર ઘર પાસે આંબાના ઝાડ પર ઝેરી દવા લઈને ચડી પી જતાં બેભાન હાલતમાં મોઢે ફીણ નીકળવા લાગ્યા હતા.

ત્યારે તેની પત્નીને ખબર પડી જતાં માતાને જાણ કરી હતી અને તાત્કાલિક સારવાર અર્થે શિહોરીમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં હાજર ડૉકટરએ ભરતજી ઠાકોરની તપાસ કરતાં શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું અને મૃતકે દારૂ અને ઝેરી દવા ગટગટાવી હોવાનું જણાવ્યું હતું. મૃતકનું પી.એમ. કરી નમૂનાઓ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

 જોકે, ત્યારબાદ મૃતકના વાલીવારસોને ડીસાથી બોલાવી શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોસ્ટમોર્ટમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી અને ભરતજી ઠાકોરના પત્ની આશાબેન ગુનો નોંધ્યો હતો.