હિંમતનગર ખાતે મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડૉરની અધ્યક્ષતામાં ૭૮મો સ્વાતંત્રતા પર્વ ધામધૂમ થી ઉજવાયો

વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા

      સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાકક્ષાનો ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્રતા પર્વ આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષલ્લાસપૂર્વક ઉજવાયો હતો. મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.    

  મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં દશે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે.

    મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી દ્વારા ‘એક પેડ મા કે નામ’, એમએસએમઈનો વિકાસ, રાજ્યમાં મજબૂત રેલવે માળખું, આંતરમાળખાકિય સુવિધાઓ, સોલાર સહાય, જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, રેનબસેરા યોજના, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાનશ્રીના જ્ઞાન આધારીત ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણને યોજનાની વિગતો આપી હતી.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારીશક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈનો ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપેલા કિર્તીમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.

 આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા હતા. મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.  

આ સ્વાતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, શ્રીમતી રમીલાબેન બારા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડો રતનકંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, પૂર્વ સાંસદશ્રી દિપસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી વિજય પંડ્યા, મહિલા અગ્રણી કૌશલ્યાબા તેમજ વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.