એક તરફ ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવામા લોકોની નિષ્કાળજી અનેક લોકોના જીવ લઈ રહી છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટની બેદરકારી પર ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.  કોર્ટે જણાવ્યું કે આગામી 15 દિવસમાં ટુ-વ્હીલર વાહનચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરો. પાંજરાપોળ ઓવરબ્રિજ મુદ્દે જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હેલ્મેટ મામલે ટકોર કરી હતી.  

ટ્રાફિકના નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે ટકરો કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી,  ટુ-વ્હિલર વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહી, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહી 15 દિવસમાં ટુ-વ્હીલર વાહનચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરો.

વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.  રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે. 

ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહનચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.