શેરબજારના બિગ બુલ કહેવાતા 62 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરનાર રાકેશ ઝુનઝુનવાલાએ ગયા વર્ષે જુલાઈમાં દેશમાં સૌથી સસ્તી ફ્લાઈટની જાહેરાત કર્યા બાદ તેમણે એક વર્ષમાં આકાસા એર લાઇન્સની શરૂઆત કરી હતી.
ગત 7 ઓગસ્ટના રોજ આકાસાએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે તેની પ્રથમ ફ્લાઈટ ચાલુ કરી હતી ત્યારબાદ બેંગ્લોરથી કોચીની ફ્લાઈટ પણ શરૂ થઈ હતી.

આકાસાની ફ્લાઈટ દેશભરમાં આકાશની ઊંચાઈઓને સ્પર્શે તે પહેલા જ રાકેશ ઝુનઝુનવાલાએ દુનિયા છોડી દીધી છે.
ઉડ્ડયન ક્ષેત્રમાં ઝુનઝુનવાલાના પ્રવેશ બાદ આ ઉદ્યોગના દિવસો બદલાશે તેવી અપેક્ષા હતી.
ઝુનઝુનવાલા જે ક્ષેત્રમાં રોકાણ કરતા હતા તે નફાકારક સોદો સાબિત થતો હતો.

રાકેશ ઝુનઝુનવાલાના પિતા આવકવેરા અધિકારી હતા. ઝુનઝુનવાલાએ 1985માં શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું જ્યારે તેઓ હજુ કોલેજમાં હતા. ઝુનઝુનવાલા સીએ પણ હતા. ઝુનઝુનવાલાએ, જે હંગામા મીડિયા અને એપ્ટેકના અધ્યક્ષ હતા, તેમણે ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું.
મનોરંજન ઉદ્યોગ ઉપરાંત, તેઓ વાઇસરોય હોટેલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઇન્ડિયા અને જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ હતા.