પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર છાપી તેનીવાડા નજીક ગુરૂવાર મોડી રાત્રે રાજસ્થાન તરફથી પુર ઝડપે આવતી લકઝરી બસના ચાલકે બાઇક ને અડફેટે લેતા બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત થયું હતુ. યુવક કાકાના દીકરા ભાઇનો જન્મ દિવસ ઉજવી બાઇક ઉપર ઘરે જઇ રહ્યો હતો. ત્યારે અકસ્માત નડ્યો હતો.

વડગામ તાલુકાના તેનીવાડા ગામના સરપંચ તખાજી રાજપૂતનો દીકરો રોહિતસિંહ ગુરૂવાર રાત્રે સગા કાકાના દીકરાના જન્મદિનની ઉજવણી કરવા મિત્રો સાથે હોટલમાં જમવા ગયા હતા. જન્મદિન મનાવી બાઇક ઉપર ઘરે જવા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસના ચાલકે સ્ટેયરિંગ ઉપર નો કાબુ ગુમાવી હોટલ નજીક બાઇકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે બાઇકનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ઘટના ને લઈ લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માતને લઈ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ માટે વડગામ સિવિલ માં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જનાર લકઝરી બસનો ચાલક ફરાર થઇ ગયો હતો.પોલીસે બસનો કબ્જો લઈ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર રાત્રીના સમયે લકઝરી બસોના ચાલકો અનિયંત્રિત સ્પીડમાં બસોને હંકારી વારંવાર અકસ્માતો સર્જી નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલે છે.ત્યારે આવા બેફામ દોડતા વાહનો ઉપર કાર્યવાહી કરવા લોકોની માંગ છે.