પાવીજેતપુર નજીક સિહોદ વળાંક ઉપર આઇસર ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા એકનું કરુણ મોત : તેમજ એક ઘાયલ

            પાવીજેતપુર તાલુકાના શિહોદ ચોકડીના વળાંક ઉપર એક આઇસર ટેમ્પાએ બાઈક ચાલક સવારોને ટક્કર મારતા એક ઇસમનું કરુણ મોત થયું છે જ્યારે પાછળ બેઠેલ ઈસમને ગંભીર વાગતા વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. 

            પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના અવલદા વસાહતમાં રહેતા નાથુભાઈ વાસ્કલે તથા પોતાના જ ગામના રાજારામભાઈ ગંગારામભાઈ આવાસિયા મોટર સાયકલ લઇ ૫ જૂન ના રોજ કુબેર ભંડાર દર્શન માટે ગયા હતા. ૬ જૂનના રોજ ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સાંજે ૪ વાગ્યાની આસપાસ પાવીજેતપુર તાલુકાના સિહોદ વળાંક ઉપર આઇસર ટેમ્પાના ચાલકે ગફલત ભરી રીતે પૂર ઝડપે પોતાનો ટેમ્પો ચલાવી આ બાઈક સવારોને અથાડી દેતા નાથુભાઈ ને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તાત્કાલિક તેઓને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે તેમની પાછળ બેઠેલ રાજારામભાઈ ને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. 

           આમ, પાવીજેતપુર તાલુકાના સિહોદ વળાંક ઉપર મધ્યપ્રદેશના બે ઇસમોને આઈસર ટેમ્પાએ ટક્કર મારતા એકનું કરુણ મોત થયું છે જ્યારે પાછળ બેઠેલ ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે જે અંગે પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.