ડીસામાં આવેલા મુખ્ય બટાકા સંશોધન કેન્દ્ર આગળ BSNL દ્વારા ડીપી નાખવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતાં પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. નગરપાલિકા દ્વારા BSNL કંપનીને નોટિસ આપવામાં આવી છે.

ડીસાના જલારામ મંદિરથી બગીચા સર્કલ તરફ જતાં માર્ગ પર આવેલ બટાકા સંશોધન કેન્દ્રની બહાર BSNL કંપની દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઈપ તોડી નાંખતા હજારો લીટર પીવાનું પાણી રોડ પર વેડફાયુ હતું. હજારો લીટર પાણી રોડ પર વેડફાતા રાહદારીઓ સહિત વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પીવાનું પાણી રોડ પર રેલાઈ પ્રાંત કચેરીમાં ઘુસ્યા હતા. શુક્રવારે સાંજે પાઈપ લાઈન તુટી હોવાથી સાંજના સમયે પાલિકા દ્વારા છોડાયેલ પીવાનું પાણીનો વેડફાટ થયો અને બીજા દિવસે શનિવારે સવારે પણ પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો.

આ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, જ્યારે પાલિકા દ્વારા કોઈપણ કંપનીને એન.ઓ.સી આપવામાં આવે છે ત્યારે શરતોને આધીન આપવામાં આવે છે અને પાલિકાની મિલકતને કોઈપણ જાતનું નુકશાન થાય ત્યારે કામ કરતી કંપની પાસેથી ભરપાઈ કરવાની હોય છે. ત્યારે પાલિકા દ્વારા BSNL કંપનીને નોટિસ આપી છે.

BSNL કંપની દ્વારા ખોદકામ દરમિયાન નવિન રોડ પણ તોડી નાખી બાદમાં માટીનું પુરાણ કરી દેવામાં આવી છે પરંતુ યોગ્ય રીતે સમારકામ ન થતાં હજુ પણ પાણી ક્યાંક લિકેજ થઈ રહ્યું છે. પીવાના પાણીની પાઈપ લાઈન તુટી જતાં હજારો લીટર પાણી વેડફાતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો.

અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને કેટલાંય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડી શકાતું નથી. જ્યારે BSNL કંપનીની બેદરકારીથી પાઈપ લાઈન તુટી જતાં હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. ત્યારે બેદરકારી દાખવનાર BSNL કંપનીના કોન્ટ્રાકટર સામે પાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.