ડીસા તાલુકાના જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 12 વર્ષીય નૈતિક માળી સાંજે રમવા માટે ગયો હતો. તે સમયે બાજુના ખેતરની ફરતે ફેનસિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો અને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વિજ કરંટ લાગ્યો હતો.કરંટ લાગતાજ નૈતિક જટકા સાથે જમીન પર પટકાયો હતો અને તેનો જમણો હાથ દાજી જતા ગંભીર ઈજા પહોચી હતી.ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા તેમજ ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ઇજાગ્રસ્ત નૈતિકનું કરુણ મોત નિપજ્યું હતુ.

આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો હતો તે સમયે બાજુમાં ખેતર માલિક હીરાભાઈ પીતાંબરભાઈ સાંખલાએ તેમનું ખેતર રમેશભાઈ નેનુરામ માળીને વાવેતર માટે આપેલું છે. જે રમેશભાઈએ ખેતરની ફરતે તારમાં વીજલાઇનમાથી વાયર મારફતે સીધો કરંટ મુકેલો હતો અને રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનુ મોત થયું છે. આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાય રોજડા મરી ગયા છે અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે ત્યારે વીજ કરંટ મુકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.