પાલનપુર તાલુકાના પટોસણ ગામે બે પશુપાલકોએ તેમની ગાયોને (લીલો ઘાસચારો)સાયલેજ ખવડાવ્યું હતુ. જે પછી 18 પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેમાં 5 ગાયોના મોત થયા હતા. જોકે, બનાસકાંઠા પશુપાલન વિભાગ અને બનાસડેરીની ટીમે તાત્કાલિક સારવાર કરતાં 13 ગાયોના જીવ બચી ગયા હતા.

પાલનપુર તાલુકાના પટોસણ ગામે રહેતા પશુપાલક વિજયભાઇ અવચળભાઇ કાથરોટીયા અને દીવીબેન કેશરભાઇ કાથરોટીયાએ તેમના 18 પશુઓને શનિવારે સાંજે સાયલેજ ખવડાવ્યું હતુ. જે પછી તમામ પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેમાં વિજયભાઇની 2 ગાય જ્યારે દીવીબેનને 3 ગાયોના મોત થયા હતા.

આ અંગે જીલ્લા પશુપાલન અધિકારી ડો. જગદીશ મજઠીયાએ જણાવ્યું હતુ કે, પશુપાલન વિભાગ અને બનાસ ડેરીની ટીમો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં 13 પશુઓના જીવ બચી ગયા છે. મૃત પશુઓનું પી.એમ. કરાયું હતું.

લીલા ઘાસચારાની કાપણી કરી હવા ન જાય તેવા ખાડામાં મુકી દેવામાં આવે છે. જે અથાઇ જાય છે. દરમિયાન લીલો ઘાસચારો ન હોય ત્યારે તેની અવેજીમાં આ સાયલેજ પશુઓને ખવડાવવામાં આવે છે.