લખતરના કડુ, તરમનીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની વલ્લભીપુર કેનાલમાં તરમનીયા ગામ નજીક ગત રાત્રીના કેનાલમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી હાલતમાં જોવા મળી હતી. કેનાલમાં તરતી હાલતમાં લાશ હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા આજુબાજુના ગ્રામજનો કેનાલ પર એકઠા થઇ જવા પામ્યા હતા. કેનાલમાં લાશ હોવાની જાણ લખતર પોલીસને કરતા લખતર પોલીસ સ્ટેશનના જયદીપસિંહ રાઠોડ તથા હિતેશભાઈ કઠેકિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વઢવાણ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ ઘટનાને પગલે વઢવાણ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને કેનાલમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી.ત્યારે મળતી માહિતી મુજબ લખતરના સાકર ગામનો હિતેશભાઈ દયારામભાઈ ધોળકિયા નામનો યુવક ગુમ થયાની લખતર પોલીસ સ્ટેશનમાં તારીખ 12/03/2024ના રોજ જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી.ત્યારે કેનાલમાંથી લાશ મળતા પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકના પરિવારજનોને સ્થળ પર બોલાવતા તેઓએ કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવેલા યુવક ગુમ થયેલા હિતેશભાઈ દયારામભાઈ ધોળકિયા હોવાનું જણાવ્યું હતું. લખતર પોલીસ દ્વારા લાશનો કબ્જો લઈ લાશને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાંથી રાજકોટ ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવી હતી.