રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર-લોકમેળા સમિતિ દ્વારા આગામી તા. 17થી 21 ઓગસ્ટ દરમિયાન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા ‘આઝાદીનો અમૃત લોકમેળો’ના ઉદ્દઘાટન માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અપાયેલા નિમંત્રણનો સ્વીકાર કરવામાં આવતા તા. 17 ઓગસ્ટના સાંજના 5 કલાકે લોકમેળાનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, તા. 12 ને શુક્રવારે બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધી યોજવામાં આવેલ વિરાટ તિરંગા યાત્રાને ફલેગઓફ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવનાર છે.જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. 12ની તિરંગા યાત્રા પછી તા. 17નાં લોકમેળાના ઉદ્દઘાટન માટે રાજકોટની મુલાકાતે આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. 12નાં તિરંગા યાત્રાના ફલેગઓફ માટે અમદાવાદથી હવાઈ માર્ગે સીધા રાજકોટ એરપોર્ટ પર 8-30 આસપાસ આવી પહોંચાનાર છે ત્યાંથી સીધા બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી તિરંગા યાત્રાને ફલેગઓફ આપશે. તિરંગા યાત્રામાં એક લાખની જનમેદની ઉમટી પડનાર હોય આ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા આજે મુખ્યમંત્રીના રુટનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. 12મીની તિરંગા રેલી બાદ તા. 17 ઓગસ્ટનાં સાંજનાં પાંચ કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકશે. આમ મુખ્યમંત્રી તા. 12 અને 17નાં રાજકોટની મુલાકાતે આવનાર હોય રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર તૈયારીઓમાં ઝુંટવાઈ ગયેલ છે.

વીપુલ મકવાણા અમરેલી