સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે રહેતી પરિણીતાએ પોતાના ઘરે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે મામલે પરિણીતાની માતાએ પતિ સામે મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.રામીબેન યાદવની દીકરી પુજાબેનના લગ્ન અંદાજે દોઢ વર્ષ પહેલા જયંતીભાઈ રાઠોડ સાથે થાન મુકામે થયા હતા અને બન્ને થાનની મારૂતિનંદન સોસાયટીમાં અલગ રહેતા હતા. તે દરમિયાન રામીબેનને જમાઈ જયંતીભાઈએ ટેલીફોનિક જાણ કરી દીકરીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવતા થાન હોસ્પિટલ ખાતે રામીબેન સહિતનો પરિવાર પહોંચ્યો હતો અને દીકરીની અંતિમવિધિ કરી હતી.ત્યારબાદ આ અંગે તપાસ કરતા જમાઈ જયંતીભાઈ અવાર-નવાર દારૂ પીને આવતા હતા અને મારપીટ કરતા હતા. તેમજ બીજી મહિલા સાથે લગ્નેત્તર સંબંધો હોવાથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતાં આ મામલે જમાઈ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી