સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડના રહીશ ગફારભાઇ રસુલભાઇ મોવરે રાજકોટ નાગરિક બેંક સુરેન્દ્રનગરમાંથી ધંધાના વિકાસ માટે લોન લીધી હતી.જેમાં 8 લાખની ધિરાણ તા.25-5-18ના રોજ ચૂકવાયું હતું.આ લોનની હપ્તે હપ્તે ચૂકવવાની હતી લોનના હપ્તા પેટે 8,27,357 બાકી નીકળતા હોવાથી ગફારભાઇએ 1-3-10ના રોજ રૂ.30 હજારનો ચેક લખી આપ્યો હતો.જે તા.1-3-19એ નાણાના અભાવે પરત આવ્યો હતો.આથી બેંકમેનેજર હિરેનભાઇ જાદવ દ્વારા નોટિસ આપ્યા બાદ કેસ કરાયો હતો. જે કોર્ટમાં ચાલી જતા આરોપી તરફના વકીલ ક્રિમાબેન શાહ દ્વારા દલીલ કરી હતી કે તેમણે 8 લાખની લોન લીધી હતી.જેના હપ્તા નિયમિત ભર્યા જે હપ્તા ભર્યા નથી તેનાથી વધારે રકમનો ચેક રકમ જાતે ભરી ખોટો કેસ કરાયો છે. ઉલટ તપાસમાં ફરિયાદી લોન સમયે 10 એડવાન્સ ચેક લીધેલાનું કબૂલ કરી જે 10 ચેક પૈકી એક ફરિયાદવાળો ચેક હોવાનું કબૂલ રાખે છે. આરોપીએ કેટલા હપ્તા ભર્યા કેટલા બાકી તેવી કોઇ હકીકત ફરિયાદ નોટિસ તપાસમાં જણાવી નથી.તેમન આરોપીએ ઘરેથી વેપાર કરવા મકાન ખરીદવા લોન લીધાનું જણાવ્યું છે તેમજ આરોપી પાસે કયા કર્મચારીએ એડવાન્સ ચેક લીધા તેની વિગત ભરી તેની ખબર નથી તેવું કબૂલ કર્યું છે. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહ શનાભાઇ ઠાકોરે ફરિયાદવાળા ચેક આરોપીએ કાયદેસરના દેવા તથા જવાબદારી પેટે આપેલો હતો તે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયા હોવાથી આરોપી ગફારભાઇને નિર્દોષ છોડવા તથા રૂ.5હજાર પુરાના જામીન તથા તેટલી જ રકમ જાતમુચરકા આપવા હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને આરોપી સામે ખોટી ફરિયાદ કરવા બદલ શા માટે આરોપીને વળતરનો હુકમ ન કરવો તે માટે નોટિસ કાઢવા હુકમ કરાયો હતો.