શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુરધામની ઉજવણી અંતર્ગત ડીસામાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું ભવ્ય સ્વાગત બાદ શહેરમાં શોભાયાત્રા યોજાઈ હતી. જ્યાં ઠેર-ઠેર રથનું સ્વાગત કરાયું હતું.

સાળંગપુર ગામ ખાતે શ્રી શતામૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. 175 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનો રથ સમગ્ર ગુજરાતમાં ફરશે અને ભક્તોને આમંત્રણ આપશે.

જે અંતર્ગત ગઈકાલે સાંજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનો રથ ડીસા ખાતે પહોંચ્યો હતો. જ્યાં જલારામ મંદિર પાસે ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત નગરસેવકો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથનું સ્વાગત કર્યું હતું.

ગુજરાતમાં સૌપ્રથમ ડીસા ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનો રથ પહોંચ્યા બાદ રાત્રે ત્રણ હનુમાન મંદિર ખાતે સુંદરકાંડનું આયોજન કરાયું હતું.ત્યારબાદ આજે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ત્રણ હનુમાન મંદિરથી નીકળેલી યાત્રા સાંઈબાબા મંદિર ખાતે પહોંચતા ત્યાં મહા આરતી યોજાઇ હતી. ડીજે સાથે નીકળેલી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની શોભાયાત્રામાં અનેક લોકો જોડાતા શહેરમાં ભક્તિમય માહોલ બની ગયો હતો.