લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે

-જિલ્લા કલેકટર કે.એલ.બચાણી

 નડિયાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં "હર ઘર તિરંગા” કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી અંતર્ગત વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ થઇ રહ્યું છે. જેના અનુસંધાને સ્વતંત્રતા સપ્તાહ (તા.૧૧ ઓગષ્ટ, ૨૦૨૨ થી તા.૧૭ ઓગસ્ટ, ૨૦૨૨) દરમ્યાન "હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અન્વયે રાજયના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે. તેઓશ્રીએ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના ઘરો, દુકાનો, એપીએમસી, સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, સરકારી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ તથા અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ,આંગણવાડીઓ, જેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટેલ, ઉદ્યોગ ગ્રૃહો, વાણિજય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સીએચસી જેવા જાહેર તથા ખાનગી સ્થળોએ પણ આદરપૂર્વક રાષ્ટધ્વજ લહેરાવી આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લાના પ્રજાજનોને જાહેર અપીલ કરી હતી.

 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહિત સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.