સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના સંસ્કારધામ, ગુરુકુળ ખાતે કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કક્ષાનાં 74મા વન મહોત્સવનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું કે, માનવજાતે આધુનિક જીવનશૈલી અને સુખ સુવિધાઓ પાછળની દોટમાં પર્યાવરણને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે સરકારના પ્રયાસોમા તમામ નાગરિકો વિવિધ સ્તરે સક્રિયપણે સહભાગી થાય તે અનિવાર્ય છે. જન્મદિવસ સહિતનાં પ્રસંગોએ વૃક્ષારોપણ કરી વૃક્ષો અને પર્યાવરણ જાળવણી-સંવર્ધનમાં સહભાગી થવું જોઈએ.મંત્રીએ ગુજરાતમા જંગલ વિસ્તાર સિવાયના વિસ્તારોમા વૃક્ષોના વાવેતરની સ્થિતિ વિશે જણાવ્યુ હતું કે, વર્ષ 2003માં 25 કરોડ 10 લાખ વૃક્ષોનું વાવેતર થયું હતુ, જયારે વર્ષ 2021માં 39.75 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આમ એકંદરે વૃક્ષોના વાવેતરમાં 58.26 ટકાનો વધારો થયો છે.આ પ્રગતિને બિરદાવતા મંત્રીએ રાજ્ય સરકાર અને વનકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, સરકાર દ્વારા કરાયેલી કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પર્યાવરણ સંવેદનશીલતાનાં પગલે સમગ્ર રાજ્યમાં સાંસ્કૃતિક વનોની રચના કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાને પણ વટેશ્વરવન અને ભક્તિવન એમ બે સુંદર સમૃદ્ધ સાંસ્કૃતિક વનોની ભેટ મળી છે. આ સાંસ્કૃતિક વનો ઔષધીય ગુણો ધરાવતા અનેક વૃક્ષોનું સંરક્ષણ, સંવર્ધન કરવા સાથે નાગરિકોને પ્રકૃતિનું શિક્ષણ આપવાનું ઉત્તમ માધ્યમ બન્યા છે. લોકો વનોમા પ્રવાસન કરી પ્રકૃતિથી નજીક આવતા થયા છે. ત્યારે બાળકોમા પણ પ્રકૃતિ પ્રેમ વધે તે માટે વટેશ્વરવન સહિત વનોમાં તેમનો પ્રવાસ ગોઠવવા પણ મંત્રીએ સૂચન કર્યું હતુ.