કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી પાલનપુરની જિલ્લા જેલમાં યોગ શિબિરનું આયોજન...

જેલમાં રહેલ કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી પાલનપુરની જિલ્લા જેલમાં પરિવર્તન ગ્રુપ, દ્વારા સતત સાત વર્ષથી ત્રિ-દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ યોગ શિબિરમાં જેલમાં રહેલા કેદીઓના જીવનમાં માનસિક અને શારીરિક શાંતિ તથા બદલાવ આવે એવા શુભ આશયથી આયોજન કરવામાં આવે છે. ત્રિદિવસીય શિબિર પછી એમાંથી યોગ શીખનાર કેદી સમગ્ર વર્ષ દરમિયાન બીજા કેદીઓને યોગ કરાવતા હોય છે.આ શિબિરમાં હાઇકોર્ટના એડવોકેટ અને પરિવર્તન ગ્રુપના ચેરમેન મનોજ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે આખું વિશ્વ યોગ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમે છેલ્લા સાત વર્ષથી પાલનપુરની જિલ્લા જેલમાં ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરીએ છીએ અને કેદીઓને માનસિક શાંતિ માટે યોગની ખુબ જરૂર પણ હોય છે. કેદીઓ સજા પુરી કરીને જેલમાંથી બહાર આવીને સમાજ વચ્ચે એક શ્રેષ્ઠ જીવન જીવે એ જ અમારો આશય છે.