અમીરગઢના ચનવાયાના રોડનું નાળું તૂટતાં 3 ગામો સંર્પક વિહોણાં....

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાલનપુર-દાંતીવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકતા નદીઓમાં નવા નીર આવ્યાં છે. અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં 3 ગામો સંર્પક વિહોણા બન્યાં હતાં. જેથી લોકોને હાલાકી પડી રહી છે. જોકે, ભારે વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીરની પણ આવક થઈ છે. તેમજ ધાનેરાના આલવાડા ગામના વહેણમાં 8 લોકો ફસાયા હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એકની લાશ હાથ લાગી હતી. આ ઉપરાંત ધાનેરાના જોડિયા ગામમાં પાણી ઘૂસ્યાં હતાં. જેથી 15થી વધુ પશુનાં મોત થયાં હતાં.