ડીસા તાલુકાના રતનપુરા ગામે વીજ લાઈન નાખવા ગયેલા વીજ કંપનીના અધિકારીઓ સાથે ગાળા ગાળી કરી ધમકી આપી ખેતરમાંથી કાઢી મૂક્યા હોવાની ઘટના સામે આવી છે.. જે મામલે ડીસાના ડોક્ટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

 ડીસા તાલુકાના રતનપુરા ગામે હાલ સરકાર‌ ની કિસાન સૂર્યોદય યોજના હેઠળ ભીલડી થી રામવાસ વચ્ચે નવી વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેથી ડીસા જેટકો કંપની ના ડેપ્યુટી એન્જિનિયર નરેન્દ્રકુમાર પ્રતાપસિંહ વાઘેલા, લાઈન ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલ અને કોન્ટ્રાક્ટર રમેશ વાઢેર સહિત માણસો ને સાથે રાખી રતનપુરા ગામે વીજ લાઈન નાખવાની કામગીરી કરાવતા હતા..

તે દરમિયાન રતનપુરા ગામના વતની અને ડૉક્ટર લાલજી પટેલે આવીને અધિકારીઓને જણાવેલ કે, 'આ ખેતર સિપાઈ નૂરમહંમદનું નથી મારું ખેતર છે અને આ ખેતરમાં અમારે રીસર્વે બાબતની કામગીરી ચાલી રહી છે, જેથી અધિકારીઓ એ તેઓ પાસે આધાર પુરાવા માંગતા ડૉક્ટર લાલજી પટેલે અધિકારીઓ સાથે ગાળા ગાળી કરી અહીંથી જતા રહો નહિતર તમારા ટાંટીયા ભાગી નાખીશું અને લોહીલુહાણ કરી નાખીશું તેવી ધમકી આપી હતી, જેથી સમય સૂચકતા વાપરીને અધિકારીઓ કામ બંધ કરાવીને ત્યાંથી નીકળી ગયા હતા, જે બાબતે જેટકો ડીસાના ડેપ્યુટી એન્જિનિયર નરેન્દ્રકુમાર વાઘેલા એ ભીલડી પોલીસ મથકે ડૉક્ટર લાલજી પટેલ અને તેમની સાથે આવેલા બે શખ્સો સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..